હાસ્ય ઘણી રીતે પ્રગટ કરી શકાય. એક તો નાટકની કથા અને સંવાદ જ એવા હોય જેમાંથી હાસ્ય ઉપજે. બીજું અદાકારની પોતાની જ આગવી style હોય જેમકે પદ્મશ્રી દિનયાર કોન્ટ્રાક્ટર અથવા તો અભિનય દ્વારા રમૂજ ઉપજે વગેરે. પણ મોટા ભાગેતો પહેલા એક જૂઠથી કથા શરુ થાય અને તે છુપાવવા બીજા અનેક જૂઠ બોલાય અને તેનાથી પેદા થતું હાસ્ય. અને આ છેલ્લી formulaનો જ ઊપયોગ કરીને once more production અને દિવ્યેશ પાઠક એમનું નવું નાટક 'આને ભી દો યારો' લઇને આવ્યા છે. નાટકની શરૂઆતમાં જ પૈસા માટે જુઠ્ઠાણું ચલાવાની વાત આવે છે ત્યારે જ ખ્યાલ આવી જાય છે કે અઢી કલાક એક જ topic પર સંતાકુકડીની રમત રમાવાની છે. આ બધી કસરતમાં અમુક વાર આનંદ આવે છે જયારે ઘણીવાર નાટક કંટાળાજનક તેમજ બહુ ખેંચાતુ હોય એમ લાગે છે. ચાલો જોઈએ નાટક વિશે...
આખી કથા બાપ દિકરાની જોડી પર વણાયેલી છે, accountant તરીકે કામ કરતા પિતા કેશવ અને કોઈ નોકરીમાં ઠરીઠામ ન થયેલો પુત્ર આદિત્ય. પિતા કર્જામાં ડુબેલા છે. પિતાએ જેની પાસેથી પૈસા લીધા છે તે વસૂલીભાઇ પણ ધમકી આપી જાય છે. હવે અચાનક એવો પ્રસંગ બને છે કે આદિત્યની પૈસાની જરૂરિયાત પૂરી થઇ શકે જેથી પિતાનું દેવું ચૂકવી શકાય અને પિતા પુત્ર મળીને એક અસત્ય ઉચ્ચારે છે અને તેનાથી સર્જાય છે ગોટાળાની હારમાળા. સવાલ એ થાય છે કે આ એકજ ટાઈપની ધમાચકડી સળંગ અઢી કલાક ચાલે છે જે એકની એક લાગે છે. હા કેશવ અને આદિત્યનો અભિનય અમુક પ્રસંગો વખતે સરસ છે તેમાં ના નહીં તેમજ બંનેની વચ્ચે tuning પણ અફલાતૂન છે પણ નબળી કથાને લીધે પ્રસંગોમાં વિવિધતાનો અભાવ છે.
નાટકનાં મુખ્ય આદિત્યનાં પાત્રમાં જિમિત ત્રિવેદીએ આઠેક વરસો પછી રંગભૂમિ પર દેખા દીધી છે. ગુજરાતી તેમજ હિન્દી સિનેમાથી મશહૂર થયેલા જિમિતે ભૂલભૂલૈયા, 102 Not out, ગુજ્જુભાઈ ધી ગ્રેટ, પોલમપોલ જેવી અનેક ફિલ્મો તેમજ હમસફર જીંદગી કે જેવી સિરિયલોથી ઘણી ખ્યાતિ મળી છે અહિયાં પણ તેનો અભિનય સુંદર છે તેમજ તેના અભિનયમાં તરવરાટ અને તાઝગી છે. રંગભૂમિ પરનું તેનું પુનરાગમન ગુજરાતી દશૅકો માટે લાભદાયક રહેશે. ગુજરાતી ફિલ્મ 'શરતો લાગુ'માં સૂત્રધારની નાની ભૂમિકામાં તેમજ 'બા તુસી ગ્રેટ હો' નાટકમાં અભિનય કરનારા હરિકૃષ્ણ દવેને કેશવનાં પાત્રમાં અહિયાં મોટું footage મળ્યું છે જે તેણે થોડીઘણી ઓવરએક્ટિંગને બાદ કરતાં સારી રીતે નિભાવેલ છે. હા આખા નાટકમાં તે એક પણ વાર નેચરલી ઉઠતા કે બેસતા નથી પણ એક્ટિંગ કરતાં હોય તે ખૂંચે છે. વસુલીભાઇના પાત્રમાં પારસી થિયેટરનો જાણીતો ચહેરો વિસ્તપ ગોટલાએ તેની નાની ભૂમિકામાં પણ સુંદર અભિનય કરેલ છે. બાકી વૈશાલી પરમાર, મોનિકા પટેલ તેમજ અન્યો સારો સાથ પુરાવે છે.
સવાલ એ થાય છે કે આટલી નબળી કથા ત્રણ જણે મળીને લખી છે, સ્વરાજ પાટિલ, ગૌરવ નાયક અને ધીરજ પાલશેતકર. લો કરલો બાત. ધીરજ પાલશેતકરનું દિગ્દર્શન સારૂ છે.
ટૂંકમાં 'આને ભી દો યારો'ને તમારી weekend ની સાંજમાં આવવા દો તો પણ ચાલે અને ન આવવા દો તો પણ ચાલે.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે